Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) અંગદાનની યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. અંગદાન થકી જરૂરિયાતમંદને નવજીવન મળે એ દિશામાં કામગીરી થઈ રહી છે. 29 જૂનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 198 મું અંગદાન થયું છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળનાં ઉતર દિનાજ્પુરનાં રહેવાસી ગોલાપીબેન બિશ્વાસને હૃદયની તકલીફ હતી આથી, સારવાર માટે રતલામ જે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તારીખ 23 મે, 2026 ના રોજ વધુ તબિયત બગડતા સિટી સ્કેન કરાવતા મગજમાં હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેમને 25 મે, 2025 ના રોજ વધુ સારવાર અર્થે પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.
અહીં, લગભગ 72 થી વધુ કલાકોની સધન સારવારના અંતે તેમને હોસ્પિટલનાં તબીબો દ્વારા 28 મે, 2025 ના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીનાં સ્વજનોને બ્રેઇન ડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પુત્ર અશોકભાઇએ માતા ગોલાપીબેન બિશ્વાસનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. બ્રેઇનડેડ ગોલાપીબેન બિશ્વાસનાં (Golapiben Biswas) અંગદાનથી મળેલ એક લીવર તેમ જ બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. બે આંખોનું પણ દાન (Organ Donation) મળ્યું, જેને એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી.
સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં અત્યાર સુધીમાં કુલ 198 અંગદાતાઓ થકી કુલ 648 અંગોનું દાન (Organ Donation) મળેલ છે, જેમાં 173- લીવર, 360-કિડની, 13- સ્વાદુપિંડ, 62-હૃદય, 32- ફેફસા, 6- હાથ, 2-નાના આંતરડાનો સમાવેશ થાય છે. ઉપરાંત, સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં 21 જેટલી ચામડીનું પણ દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ 198 માં અંગદાન સાથે આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઊમેર્યું હતું.